ધાંગધ્રાનાં શાસક માનસિંહજીનું અવસાન થતા યુવરાજ જસવંતસિંહજીના પુત્ર અજીતસિંહજી સંવત ૧૯૫૭ કારતક વદ ૧૨ ના રોજ ગાદીએ આવ્યા. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યુ હતું. રાજ અજીતસિંહજીએ માત્ર દશ વર્ષ રાજ ચલાવ્યુ પણ તેમણે કુનેહ, બુધ્ધિ અને આવડતથી રાજ્યનો ઘણા ક્ષેત્રે વિકાસ કરી આધુનિકતાના ઉંબરે પહોંચાડડ્યુ અને ધાંગધ્રામાં સારા મકાનો બાંધી સારી રીતે શણગાર્યુ હતું.
રાજ અજીતસિંહજી ઝાલા |
અજીતસિંહજી એ નીચે મુજબના કાર્યો અને સુધારાઓ કર્યા હતા.
- (૧) તેમણે નવ નવા ગામો વસાવ્યા કે જ્યારે વસતિ છપ્પનિયા દુષ્કાળમાં નાશ પામી હતી. તે તેમના શાસનકાળ દરમ્યાન સ્થિરતા પૂર્વક વધવા લાગી, તે વિનાશક દુષ્કાળમાં કેટલાક ગામડાઓ મહંદ અંશે સંપૂર્ણપણે વસતિ વિહીન થયેલા હતા, તેથી ખેડૂતો, ઉભડિયાઓ તેમજ પાડોશી રાજ્યોના અન્યોને તેમણે આ નવા ગામોમાં વસવાટ કરવા માટે આકર્ષિત કર્યા હતા. તેથી તેમના શાસન કાળ દરમ્યાન લગભગ ૧૫ ટકા જેટલા કે ૧૦૦૦ હજારથી વધારેનો વસતિ વધારો નોંધાયો હતો.
- (૨) એક ફૌજીની માનસિકતા ધરાવનારા સાચા રાજપૂત તરીકે તેમણે પોતાના રાજ્યના સ્ટેટ ફોર્સને એક નાનકડા સૈન્યની માફક જાતે સખત તાલીમ આપી હતી અને તેનુ આ સૈન્ય ખૂબ જ શિસ્તબધ્ધ અને નમૂનેદાર સૈન્ય બની ગયુ હતું. ગુનેગારો અને ખોટુકરનારાઓ અજીતસિંહજીના ભયથી ડરતા હતા. ઇ.સ.૧૯૦૮માં તેમણે અંગ્રેજ સરકારને વાયવ્ય સીમા પ્રાંતના બળવાને સમાવવા પોતે પોતાની સેના સાથે જવાની ઓફર કરી હતી. વળી તેઓ પોતાના સૈન્યમાં ઝાલા અને મકવાણાઓને જ શક્ય હોય ત્યાં સુધી ભરતી કરતા હતા.
- (૩) તેઓએ ખેતીના સુધારા માટે ખાસ પ્રયત્નો કરાવ્યા અને ૧૦૦૦ સાંતીની જમીન નવી ખેડવાણ કરાવી, કપાસના વાવેતર વધારી જે કપાસ ભરૂચના કપાસ જેવો ઉચ્ચ ગુણવતાવાળો થતો હોવાથી મુંબઇની બજારમાં ધાંગધ્રાના કપાસના ભાવ ભરૂચના કપાસની સાથે સાથ મળતા હતા.
- (૪) ખેડૂતોને શાહુકારોની ચુંગાલમાંથી બચાવવા માટે કૃષિ બેંક સ્થાપી ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો.
- (૫) હળવદમાં મ્યુનિસિપાલીટી સ્થાપી તેમના પિતા જસવંતસિંહજીબાવાની યાદગીરીમાં પુસ્તકાલયો સ્થાપ્યા.
- (૬) તેઓએ ધાંગધ્રાના રસ્તાઓ બંધાવી તેના કાંઠે વૃક્ષો રોપાવ્યા આ સિવાય અજીત નિવાસ પેલેસ અને ઓડીટોરિયમ, મિલીટ્રી લાઇન્સ, નવુ ગેસ્ટ હાઉસ અને નવી સુંદર બજાર તેઓએ ઉભી કરાવી હતી.
- (૭) તેઓએ તેમના પાટવી કુમારના નામ ઉપરથી ઘનશ્યામ કોટન પ્રેસ સ્થાપ્યુ હતું.
- (૮) ધાંગધ્રામાં ઇ.સ.૧૯૦૩માં અને ઇ.સ.૧૯૦૫માં પ્લેગે દેખા દેતા તેઓએ ડો.ડી.એચ. બારિયાના નેતૃત્વ હેઠળ અસરકારક પગલા લીધા હતા.
- (૯) છપ્પનિયા દુષ્કાળ વખતે શરૂ કરેલુ ગરીબ ઘરને અનાથ, અંધ અને અપંગો માટેના નિવાસસ્થાન માટે કાયમી માટે પરિવર્તિત કરી નાંખવામાં આવ્યુ હતું.
- (૧૦) વાંકાનેર અને ધાંગધ્રા રાજ્ય વચ્ચે ૩૦૦ વર્ષથી ચાલતો અણબનો તેમના કાળમાં ભાંગવામાં આવ્યો.
- (૧૧) તેઓએ રાજસીતાપુર, મેથાણ અને ઉમરાળામાં અદાલતો સ્થાપી હતી.
- (૧૨) તેઓને તા.૧-૧-૧૯૦૯ના રોજ કે.સી.એસ.આઇ.નો ખિતાબ જાહેર થતા તેમણે તે ખુશાલીમાં શિક્ષણ મફત કર્યુ અને ટીકર અને કોંઢમાં કન્યા શાળાઓ શરૂ કરાવી હતી.
સંદર્ભ: પ્રદ્યુમન. ભ. ખાચર.| કાઠીયાવાડના રાજવીઓ(૨૦૦૫) - રાજ અજીતસિંહજી ઝાલા- ધાંગધ્રા.